Champions Trophy, Jasprit Bumrah: આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ રમશે કે નહિ તે અંગે અંતિમ નિર્ણય લેવાનો હજુ બાકી છે. આ ટુર્નામેન્ટ માટે ટુર્નામેન્ટમાં ભાગ લેનારા દેશોએ ટીમને નક્કી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 11 ફેબ્રુઆરી છે. બધી ટીમોએ આજ સુધીમાં ICCને પોતાની ટીમની જાણકારી આપવી ફરજીયાત છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થવાના કારણે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહી તે અંગે શંકા છે. BCCI આજે બુમરાહની ફિટનેસને લઈને નિર્ણય લઇ શકે છે.
શું બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે?
હાલમાં જસપ્રીત બુમરાહે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ખાતે મહત્ત્વપૂર્ણ બોડી સ્કેન અને સંપૂર્ણ ચેકઅપ કરાવ્યું હતું. તેની ફિટનેસ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા અંગેનું ચિત્ર ટૂંક સમયમાં સ્પષ્ટ થવાની અપેક્ષા છે. એક અહેવાલ મુજબ, બુમરાહ બેંગલુરુમાં રેહેશે જેથી તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મેડિકલ ટીમ સાથે ચર્ચા કરી શકે.
મેડિકલ સ્ટાફ મેનેજમેન્ટના સભ્યો સાથે કરશે મુલાકાત
આગળના 24 કલાક ભારતીય ક્રિકેટ ટીમ માટે જ નહિ પરંતુ અનેક ક્રિકેટ ચાહકો માટે પણ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, બધા જ તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતો જોવા માંગે છે. BCCIની મેડિકલ ટીમ બુમરાહ પર નજર રાખી રહી છે. એક રીપોર્ટ અનુસાર, હાલમાં જ બુમરાહે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સીલેન્સ ખાતે પોતાની કમરનું સ્કેનિંગ કરાવ્યું હતું. મેડિકલ સ્ટાફ ટૂંક સમયમાં બુમરાહની ઈજાને લઈને મેનેજમેન્ટના સભ્યો અને પસંદગીકારો સાથે મુલાકાત કરશે. BCCIની મેડિકલ ટીમ પૂરી તપાસ કર્યા બાદ ટીમ મેનેજમેન્ટને પોતાની રીપોર્ટ આપશે. ન્યુઝીલેન્ડના ડો. રોવન શાઉટનનો અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યો છે. અગાઉ જાન્યુઆરીમાં બુમરાહના પહેલા સ્કેનિંગ વખતે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી.